એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવા માટે આજે મુંબઈમાં યોજાયેલી બીસીસીઆઈ પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારી ઘટના બની. પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને પાકિસ્તાન સાથેની મેચ અંગે સવાલ પૂછવામાં આવ્યો, પરંતુ તેઓ જવાબ આપે તે પહેલાં જ બીસીસીઆઈના પ્રતિનિધિએ તેમને અટકાવી દીધા. અગરકર પાકિસ્તાન મુદ્દે બોલવા તૈયાર હતા, પરંતુ અચાનક હસ્તક્ષેપ કરી તેમને ચૂપ કરાવવામાં આવ્યા.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે તમામ દ્વિપક્ષીય સંબંધો તોડી નાખ્યા હતા. ત્યારબાદ એવી ચર્ચા થઈ હતી કે ભારત એશિયા કપમાં ભાગ નહીં લે. પરંતુ બાદમાં ટુર્નામેન્ટને ન્યૂટ્રલ વેન્યૂ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ખસેડવામાં આવ્યું. ઘણા પૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાન સામે મેચ રમવાનો વિરોધ કર્યો હતો. હરભજન સિંહ અને કેદાર જાધવે ખુલ્લેઆમ પાકિસ્તાન સામેની મેચ બોયકોટ કરવાની માંગ કરી હતી. કેદાર જાધવે તો કહ્યું હતું કે, “ભારતે પાકિસ્તાન સામેની મેચ ન રમવી જોઈએ, અને હું માનું છું કે ભારત નહીં રમે.”
બીસીસીઆઈએ જાહેરાત કરેલી ટીમમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઈસ કેપ્ટન છે. સાથે જ અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા અને રિન્કુ સિંહનો સમાવેશ થયો છે.
યુએઈમાં 9 સપ્ટેમ્બરથી ટુર્નામેન્ટ શરૂ થશે. ગ્રૂપ સ્ટેજમાં ભારતની કુલ ત્રણ મેચ હશે – યુએઈ સામે 10 સપ્ટેમ્બરે દુબઈમાં, પાકિસ્તાન સામે 14 સપ્ટેમ્બરે દુબઈમાં અને ઓમાન સામે 19 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં. જો ભારત અને પાકિસ્તાન સુપર-4 અને ફાઈનલમાં પહોંચે, તો બંને વચ્ચે કુલ ત્રણ મેચ રમાવાની સંભાવના છે. પહલગામ હુમલા બાદ બંને દેશો પહેલીવાર મેદાનમાં સામસામે આવશે, એટલે આ મુકાબલો ખૂબ જ મહત્વપૂર્ણ ગણાશે.

Leave a Reply