પંજાબમાં ઐતિહાસિક પૂર: હજારો લોકો બેઘર, જાનમાલનું મોટું નુકસાન

પંજાબમાં ઐતિહાસિક પૂર: હજારો લોકો બેઘર, જાનમાલનું મોટું નુકસાન

પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે પૂરનું ભયંકર દ્રશ્ય સર્જાયું છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો લોકો પોતાના ઘર છોડીને અસ્થાયી કેમ્પોમાં રહેવા મજબૂર બન્યા છે. ઘણા લોકોએ પોતાના મકાન અને સંપત્તિ ગુમાવી છે, તો કેટલાકને પશુઓને પણ બચાવવાનો મોકો મળ્યો નથી.

લોકોના જણાવ્યા પ્રમાણે, 1988 બાદ પહેલીવાર પંજાબમાં આટલું વિકટ પૂર આવ્યું છે, જેનાથી 37 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પડતા અવિરત વરસાદના કારણે સતલુજ, બ્યાસ અને રાવી નદીઓ ખતરની સપાટીએ પહોંચી ગઈ છે અને બે કાંઠે વહેતી થઈ રહી છે.

પૂરથી પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, તરન તારન, કપૂરથલા, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસર સહિતના જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં સેંકડો ગામો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે અને જાનમાલનું મોટું નુકસાન થયું છે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ સતત વરસાદના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. મુખ્યમંત્રી ભગવંત માને તમામ જિલ્લા વહીવટીતંત્રને રાહત કામગીરી તેજ કરવા આદેશ આપ્યો છે અને ચંદીગઢમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાની જાહેરાત કરી છે. રાજ્યમાં ફ્લડ કંટ્રોલ રૂમ તથા ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

પટિયાલા જિલ્લામાં પૂરનો લાંબો ઈતિહાસ રહ્યો છે. 1993માં અહીં ભારે પૂર આવ્યું હતું અને 2023માં પણ વરસાદી પૂરે જિલ્લાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હાલ સોશિયલ મીડિયા પર #PrayforPunjab ટ્રેન્ડ કરી રહ્યું છે, જ્યારે અનેક NRI પંજાબને મદદ માટે આગળ આવી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published.