થોળ ગૌશાળામાં બેદરકારીનો ભોગ: કાદવમાં ફસાઈ 20થી વધુ ગાયોના મોત, સંચાલન પર ગંભીર આક્ષેપો

થોળ ગૌશાળામાં બેદરકારીનો ભોગ: કાદવમાં ફસાઈ 20થી વધુ ગાયોના મોત, સંચાલન પર ગંભીર આક્ષેપો

મહેસાણાના કડી તાલુકાના થોળ ગામે આવેલી શ્રી રાધા કૃષ્ણ પાંજરાપોળ ટ્રસ્ટમાં ગાયોના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંદાજે 20થી વધુ ગાયો કાદવ અને ગંદકીમાં ફસાઈ જીવ ગુમાવવાના અહેવાલ મળતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વેજલપુરના ગૌપ્રેમી કિરણભાઈએ આ મુદ્દે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ગૌશાળામાં 400થી વધુ ગાયો હોવા છતાં તેમની હાલત અત્યંત દયનીય છે. અહીં ઘાસચારો અને પીવાનું પાણી બંનેનો અભાવ છે, ચારેય બાજુ કાદવ અને ગંદકી ફેલાઈ છે, જેના કારણે પશુઓ જીવી ન શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

કિરણભાઈએ સીધો આરોપ સંચાલકો પર મૂકી સરકાર અને પ્રશાસનને પણ જવાબદાર ઠેરવ્યા. તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકાઓમાંથી પકડાયેલી ગાયો આ ગૌશાળામાં મોકલવામાં આવે છે, પરંતુ તેમની યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી. આ ઉપરાંત, તેમણે પોલીસ પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે કે 100 નંબર પર પાંચ વખત ફોન કરવા છતાં કોઈ પગલું ભરાયું નથી.

જીવદયા પ્રેમીઓએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસની સાથે સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમજ ગૌચરની જમીનો ખાઈ જવાથી ગાયો રસ્તા પર આવી ગઈ હોવાનો અને અમદાવાદ મહાનગરપાલિકાની 55,000 ગાયો ગુમ થયાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ, આ ઘટનાને લઈને જીવદયા સંગઠનોમાં ભારે રોષ છે.

 

Leave a Reply

Your email address will not be published.