ભારત સામે ચાલી રહેલા ટેરિફ વિવાદની વચ્ચે હવે અમેરિકાએ એક નવા અને વિવાદાસ્પદ દાવાથી ચર્ચા ગરમાવી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ દાવો કર્યો છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, ત્યારે અમેરિકા તેમાં સીધું સામેલ રહ્યું હતું. રુબિયોએ કહ્યું કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને “શાંતિના પ્રમુખ” તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે ભારત-પાકિસ્તાન યુદ્ધને ટાળવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.
ગુરુવારે એક ઈન્ટરવ્યુ દરમિયાન રૂબિયોએ જણાવ્યું હતું કે, “જ્યારે અમે જોયું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, ત્યારે અમેરિકાએ સીધો હસ્તક્ષેપ કર્યો હતો. ટ્રમ્પે સફળતાપૂર્વક શાંતિ સ્થાપિત કરી હતી.” તેમણે આ સાથે કંબોડિયા-થાઈલેન્ડ અને અઝરબૈજાન-આર્મેનિયા વચ્ચેના સંઘર્ષના ઉલ્લેખથી પણ ટ્રમ્પની શાંતિભરેલી છવી રજૂ કરવાનો પ્રયાસ કર્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પહેલાથી જ અનેક વખત દાવો કરી ચૂક્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ તેમણે અટકાવ્યું હતું. તેમણે 10 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે વોશિંગ્ટનની મધ્યસ્થતામાં ભારત અને પાકિસ્તાને તત્કાલ યુદ્ધવિરામ પર સંમતિ આપી હતી. તેમણે આપેલું આ નિવેદન રવિવારે પણ ફરી દોહરાવ્યું હતું.
ટ્રમ્પના દાવાઓનો સાથ આપતાં વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે પણ કહ્યું હતું કે ટ્રમ્પને ભારત-પાકિસ્તાન સહિતના વૈશ્વિક સંઘર્ષો રોકવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ.
સોશિયલ મીડિયા પર વધુ એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે તેમણે પાંચ યુદ્ધોનો અંત લાવ્યો છે, જેમાં કોંગો અને રવાન્ડા વચ્ચેના 31 વર્ષ લાંબા લોહિયાળ સંઘર્ષનો પણ સમાવેશ થાય છે.
હાલांकि, ભારતે ટ્રમ્પના દાવાઓને ખંડન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પોતે નિર્ણય લીધો હતો અને કોઈ ત્રીજા પક્ષની દખલગીરી સ્વીકાર્ય નહોતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ કહ્યું હતું કે યુદ્ધવિરામ માટે કોઈ બાહ્ય મધ્યસ્થતા કરવામાં આવી નહોતી.

Leave a Reply