ભારતીય રેલવે મુસાફરો માટે એક મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે. હવે ટ્રેન મુસાફરી દરમ્યાન વિમાન જેવી લગેજ પોલિસી અમલમાં આવશે. જો મુસાફરો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જશે તો તેમને દંડ અથવા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. અત્યાર સુધી આ નિયમો માત્ર કાગળ પર હતા, પરંતુ હવે રેલવે મંત્રાલય તેને કડકાઈથી લાગુ કરવાની યોજના બનાવી રહી છે.
મફત લગેજ મર્યાદા પ્રમાણે, ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરતી વ્યક્તિ 70 કિગ્રા સુધીનો સામાન લઈ જઈ શકે છે. એસી સેકન્ડ ક્લાસ માટે મર્યાદા 50 કિગ્રા છે, જ્યારે થર્ડ એસી અને સ્લીપર ક્લાસ માટે 40 કિગ્રા સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે. જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો માટે આ મર્યાદા માત્ર 35 કિગ્રા છે. મર્યાદા કરતાં વધુ સામાન માટે ચાર્જ વસૂલવામાં આવશે.
આ નિયમનો અમલ શરૂઆતમાં લખનૌ, પ્રયાગરાજ, કાનપુર, અલીગઢ જેવા ટોચના રેલવે સ્ટેશનો પર કરવામાં આવશે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, વધુ સામાન કોચમાં હલન-ચલનમાં અવરોધ ઉભો કરે છે અને મુસાફરોને મુશ્કેલી પડે છે, એટલા માટે આ નિયમ જરૂરી છે.
રેલવે સ્ટેશનો પર એરપોર્ટ જેવી લગેજ બુકિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. જો બેગનું વજન મર્યાદા કરતાં વધુ હોય અને બુકિંગ ન કરાવ્યું હોય તો દંડ લાદવામાં આવશે. સાથે જ મુસાફરોને વધારાના 10 કિગ્રા સામાન લઈ જવાની છૂટ મળશે, પણ તેનાથી વધુ સામાન બુક કરાવવો પડશે.
રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક લગેજ મશીન સ્થાપિત કરાશે, જેના દ્વારા મુસાફરોના સામાનનું વજન અને કદ ચકાસવામાં આવશે. જો બેગની સાઈઝ મર્યાદા કરતાં વધારે હશે તો દંડ લાદવામાં આવશે, ભલે વજન ઓછી હોય. આ નિયમ મુસાફરોની સુવિધા અને સલામતી માટે અમલમાં લાવવામાં આવી રહ્યો છે.

Leave a Reply