જાફરાબાદ દરિયાઈ દુર્ઘટના: બે મૃતદેહ મળ્યા, નવ માછીમારો હજી લાપતા

જાફરાબાદ દરિયાઈ દુર્ઘટના: બે મૃતદેહ મળ્યા, નવ માછીમારો હજી લાપતા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં થયેલી દરિયાઈ દુર્ઘટનાએ સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અરબી સમુદ્રમાં માછીમારી માટે ગયેલી ત્રણ બોટ તોફાની હવામાનને કારણે જળ સમાધિ લીધી હતી. આ ત્રણ બોટમાં કુલ 28 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 17 માછીમારોને અન્ય બોટ દ્વારા સલામત બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, 11 ખલાસીઓ લાપતા રહ્યા હતા. પાંચ દિવસથી કોસ્ટગાર્ડની ટીમો દરિયામાં શોધખોળ કરી રહી હતી.

શનિવારે સવારે બે ખલાસીઓના મૃતદેહ દરિયામાંથી મળી આવ્યા હતા. કોસ્ટગાર્ડની ટીમે બંને મૃતદેહને બહાર કાઢીને પીપાવાવ જેટી પર લાવ્યા હતા. મૃતકની ઓળખ દિનેશ બારિયા અને વિનોદ બારિયા તરીકે થઈ છે. પરિવારજનોએ હોસ્પિટલમાં પહોંચીને ઓળખની પુષ્ટિ કરી હતી. મૃતદેહોને જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મૃતદેહોની ખબર મળતા જ સ્થાનિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા. સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય હીરા સોલંકી, જિલ્લા રેન્જ આઈજી ગૌતમ પરમાર, પોલીસ વડા સંજય ખરાત અને પ્રાંત અધિકારી મેહુલ બરાસરા સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું કે હાલમાં નવ ખલાસીઓ હજુ પણ લાપતા છે અને કોસ્ટગાર્ડની ટીમો દરિયામાં સતત શોધખોળ કરી રહી છે. તોફાની પવન અને ઊંચા મોજાંના કારણે કામગીરી મુશ્કેલ બની રહી છે, છતાંય ખલાસીઓને શોધવા માટે પ્રયત્નો ચાલુ છે. માછીમારોના પરિવારજનો જાફરાબાદ અને પીપાવાવ ખાતે આશા અને ચિંતા વચ્ચે રાહ જોઈ રહ્યા છે.

ASP જયવીર ગઢવીએ જણાવ્યું કે તોફાની હવામાન વચ્ચે દરિયામાં જિંદગી જોખમમાં મૂકી માછીમારી કરનારા લોકોની મુશ્કેલીઓ ફરી એકવાર સામે આવી છે. હાલ પરિવારજનો પર દુઃખના ડુંગર પડ્યા છે, કારણ કે 9 માછીમારો હજુ સુધી લાપતા છે.

 

Leave a Reply

Your email address will not be published.