ભારતીય નૌસેનામાં પહેલીવાર બે સ્ટીલ્થ ફ્રિગેટ્સ એક સાથે થશે સામેલ : INS ઉદયગિરી અને INS હિમગિરી

ભારતીય નૌસેનામાં પહેલીવાર બે સ્ટીલ્થ ફ્રિગેટ્સ એક સાથે થશે સામેલ : INS ઉદયગિરી અને INS હિમગિરી

ભારતીય નૌસેનાના ઇતિહાસમાં પહેલીવાર બે અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ્સ – INS ઉદયગિરી (F35) અને INS હિમગિરી (F34)ને આવતીકાલે વિશાખાપટ્ટનમમાં એકસાથે સામેલ કરવામાં આવશે. આ અભૂતપૂર્વ ઘટના ભારતની સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતાનું પ્રતિબિંબ છે. બંને યુદ્ધજહાજો પ્રોજેક્ટ 17A (નીલગિરી-ક્લાસ) હેઠળ બનેલા છે, જે અગાઉના શિવાલિક-ક્લાસ ફ્રિગેટ્સનું અત્યંત આધુનિક સંસ્કરણ છે. આ બંને જહાજોની ડિઝાઇન ભારતીય નૌસેનાના વૉરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે INS ઉદયગિરી આ બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલું 100મું યુદ્ધજહાજ છે, જે ભારતની સ્વદેશી શક્તિ દર્શાવે છે.

આ જહાજોના નિર્માણમાં બે અલગ શિપયાર્ડ્સની ભૂમિકા રહી છે – INS ઉદયગિરી મુંબઈના માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડમાં બનાવાયું છે, જ્યારે INS હિમગિરી કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સમાં તૈયાર થયું છે. આ બંને ફ્રિગેટ્સનું વજન લગભગ 6,700 ટન છે, જે તેમના અગાઉના વર્ઝન કરતાં પાંચ ટકા વધુ છે. તેમની સ્ટીલ્થ ડિઝાઇન તેમને દુશ્મનના રડારથી બચાવવામાં મદદરૂપ બને છે.

બંને યુદ્ધજહાજો કમ્બાઇન્ડ ડીઝલ અને ગેસ સિસ્ટમથી સંચાલિત છે, જે તેમને વધુ ઝડપથી ચલાવવામાં સક્ષમ બનાવે છે. તેમાં અત્યાધુનિક હથિયારો છે જેમ કે સુપરસોનિક સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલો, મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો તેમજ સબમરીન વિરોધી હથિયારોનો સમાવેશ થાય છે. સમુદ્ર, હવા અને પાણીની અંદરના દરેક પ્રકારના યુદ્ધમાં આ જહાજો સક્ષમ છે. તમામ કડક પરીક્ષણો પાસ કર્યા બાદ હવે તેઓ ભારતીય નૌસેનામાં સામેલ થશે.

આ સામેલગી પછી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ તાકાત વધુ મજબૂત બનશે. આ ફ્રિગેટ્સ દેશની 7,500 કિમી લાંબી દરિયાઈ સીમા અને 2.02 મિલિયન ચોરસ કિલોમીટરના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ ઘટના ભારતની સંરક્ષણ વ્યૂહરચનામાં એક સીમાચિહ્નરૂપ છે.

 

Leave a Reply

Your email address will not be published.