Updated: Mar 7th, 2026
GS TEAM

T20 World Cup 2026 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રવિવારે(8 માર્ચ, 2026) ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચ યોજાશે. T20 વર્લ્ડકપમાં જીતનું સપનું જોઈ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમનું અમદાવાદના સ્ટેડિયમમાં નિરાશાજનક રેકોર્ડ રહ્યો છે. આમ, T20 વર્લ્ડકપ ફાઈનલમાં કઈ ટીમ માટે અમદાવાદનું સ્ટેડિયમ ‘લકી’ સાબિત થશે અને શું છે બંને ટીમોનો રેકોર્ડ, વિગતે જાણીએ.
અમદાવાદના ન.મો. સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડની ટીમ 2 મેચ રમી છે અને બંને મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની સફર શાનદાર રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ 5 વખત જીત અને 2 વાર હારનો સામનો કરીને સેમિફાઈનલમાં પહોંચી હતી. સેમિફાઈનલમાં ફિન એલનની રેકોર્ડ સદીના આધારે ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકા સામે એકતરફી વિજય નોંધાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.
2021માં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની હાર થઈ હતી
ન્યૂઝીલેન્ડની ટીમ બીજી વખત T20 વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી છે. છેલ્લે ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડકપ 2021ના ફાઈનલમાં પહોંચી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદના સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો T20માં શાનદાર રેકોર્ડ
બીજી તરફ, ચોથી વખત ફાઈનલ રમવા જઈ રહેલી અને બે વખત વિજેતા થયેલી ટીમ ઈન્ડિયાનો અમદાવાદના સ્ટેડિયમમાં T20નો શાનદાર રેકોર્ડ રહ્યો છે. ન.મો. સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ કુલ 10 T20 મેચ રમી છે, જેમાં 7 મેચમાં સફળતા મળી છે. જ્યારે 3 મેચમાં હાર મળી છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ્સ, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમને પણ હરાવી છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયાનું ‘ટોટકું’! અમદાવાદમાં હોટલ જ બદલી નાખી
T20 વર્લ્ડકપ 2026 દરમિયાન ટીમ ઈન્ડિયાએ ન.મો. સ્ટેડિયમમાં 2 મેચ રમી છે. જેમાં એકમાં જીત અને સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા 2021 પછી આ સ્ટેડિયમમાં 3 મેચ હારી છે. આમ, ન.મો. સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો T20નો રેકોર્ડ ઉત્સાહજનક રહ્યો છે.
આ T20 વર્લ્ડ કપ દરમિયાન ન.મો. સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે. પહેલા બેટિંગ કરતી ટીમોએ 3 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી હતી. જો ભારત વર્લ્ડ કપ જીતે છે, તો તે સતત બે T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બનશે.

Leave a Reply