Updated: Mar 19th, 2026
GS TEAM

Ajit Agarkar Request to BCCI: ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરે BCCI સમક્ષ પોતાના કાર્યકાળને 2027ના વનડે વર્લ્ડ કપ સુધી વધારવાની ઔપચારિક વિનંતી કરી છે. અગરકરના નેતૃત્વમાં ભારતીય ટીમે તાજેતરમાં શાનદાર સફળતા મેળવી છે, જેમાં 2024નો T20 વર્લ્ડ કપ અને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જેવા પ્રતિષ્ઠિત ICC ખિતાબનો સમાવેશ થાય છે. આ સફળતા બાદ તેમનો કોન્ટ્રાક્ટ અગાઉ એક વર્ષ માટે વધારવામાં આવ્યો હતો, પરંતુ હવે ઘરઆંગણે ફરીથી T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેમણે લાંબા ગાળા માટે જવાબદારી સંભાળવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
અગરકરના માર્ગદર્શનમાં ભારતનું અદભૂત પ્રદર્શન
અગરકરના કાર્યકાળ પર નજર કરીએ તો જૂન 2023થી અત્યાર સુધીમાં ભારતનું પ્રદર્શન વ્હાઇટ બોલ ક્રિકેટમાં અદભૂત રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ ટીમે કુલ ત્રણ આઈસીસી ટ્રોફી અને બે એશિયા કપ(2023 અને 2025) જીત્યા છે. આ સમયગાળા દરમિયાન ભારતે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં રમેલા 33માંથી માત્ર બે જ મુકાબલા ગુમાવ્યા છે. જોકે, બીજી તરફ ટેસ્ટ ક્રિકેટમાં ટીમનું પ્રદર્શન ચિંતાનો વિષય બન્યું છે. ઘરઆંગણે સતત બે ટેસ્ટ સિરીઝમાં હાર અને વિદેશી ધરતી પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પરાજયને કારણે અગરકરની પસંદગી પર સવાલો પણ ઉઠ્યા છે.
આ પણ વાંચો: બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
2027 વર્લ્ડ કપનો રોડમેપ: શું અગરકરને મળશે વધુ એક લાંબી તક?
હાલમાં બીસીસીઆઈની અંદર આ મુદ્દે પ્રારંભિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. બોર્ડ હવે એ બાબતે વિચારણા કરી રહ્યું છે કે શું અગરકરની અત્યાર સુધીની સફળતાને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ 2027 સુધી વધારી દેવો કે પછી સિલેક્ટર કમિટીમાં ફેરફાર કરવો. અત્યારે આ સમિતિમાં અગરકરની સાથે આરપી સિંહ, પ્રજ્ઞાન ઓઝા, શિવ સુંદર દાસ અને અજય રાત્રા જેવા દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે. આગામી સમયમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2027ના વર્લ્ડ કપનો રોડમેપ તૈયાર કરવાનો હોવાથી બીસીસીઆઈનો આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે.

Leave a Reply